દાહોદ જિલ્લામાં રવિવારે ૮૧ કેન્દ્રો ખાતે જુનીયર ક્લાર્કની પરીક્ષા : ૨૮૨૬૦ ઉમેદવારો આપશે પરીક્ષા
સિંધુઉદય ન્યુસ
ઉમેદવારોને પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ અપાશે નહિ
મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ લાવી શકાશે નહીં
દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૯ જાન્યુઆરીએ ૭ તાલુકાના ૮૧ કેન્દ્રો ખાતે જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષા સવારે ૧૧ થી ૧૨ દરમિયાન યોજાશે. જેમાં કુલ ૨૮૨૬૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા સુચારુ રીતે સંપન્ન થાય એ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ સુવિધાઓ મળી રહે તેમજ સમગ્ર પરીક્ષા પારદર્શકતા સાથે યોજાય એ માટેનું આયોજન કરાયું છે. જિલ્લામા કુલ ૮૧ કેન્દ્રો ખાતેના ૯૪૨ બ્લોક ખાતે સીસીટીવી સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે.ઉમેદવારોને એવી સલાહ અપાઈ છે કે જે શહેરમાં તેમનું પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં આગલા દીવસે જ પોતાના વિવેક અનુસાર પહોંચી જવા જણાવ્યું છે જેથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ રહે નહીં.પરીક્ષાના દિવસે ઉમેદવાર માત્ર પોતાનું પ્રવેશ પત્ર – હોલ ટિકિટ- કોલલેટર, પેન અને ઓળખ ના પુરાવા માટેનું અસલ ફોટો ઓળખપત્ર – આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે પૈકીનું કોઈ એક લઈને પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ કરી શકશે.કોઈ પણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લ્યુટૂથ કેમેરા, ઈયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ગેઝેટ કે પુસ્તક કે સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ દ્વારા ફ્રિસ્કીગ કરવામાં આવશે તેથી આવી વસ્તુઓ સાથે ન લાવવા જ ઉમેદવારોને જણાવાયુ છે.પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે સવારે ૯.૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ફાળવેલ વર્ગખંડમાં ૧૦.૧૫ કલાકે હાજર થવાનું રહેશે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ અપાશે નહિ તેથી ઉમેદવારોએ સમયસર પહોંચવાનું રહેશે. ઉમેદવારોએ પ્રવેશપત્ર સાથે આપવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરી તેનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

