દે.બારીઆ સબજેલમાંથી બે કેદીઓ દિવાલ કુદી ફરાર
દાહોદ તા.૦૮
દેવગઢબારીઆ સબજેલમાં પ્રોહી તેમજ પોસ્કોની સજા ભોગવી રહેલ બે કેદીઓ જેલગાર્ડની નજર ચૂકવી સબજેલની દીવાલ કૂદીને ભાગી જતા શહેર સહિત જિલ્લાના પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ તંત્રની આ બનાવની જાણ થતાં આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા સબજેલમાં આજરોજ વહેલી પરોઢિયે કુખ્યાત બુટલેગર ભીખાભાઈ રાઠવા (રહે.મીઠીબોર,જી.છોટાઉદેપુર) જે પ્રોહીના ગુનાનો આરોપી હોઈ તેમજ પોસ્કોના આરોપમાં સજા ભોગવી રહેલો કૌશિક કિર્તનભાઈ ડામોર (રહે.ડુમકા,તા.ધાનપુર,જી.દાહોદ) એમ બે કેદીઓ જેલગાર્ડની નજર ચૂકવી દિવાલ કૂદીને ભાગી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ઉપરોક્ત ઘટના ની જાણ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ને થતા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા તેમજ એલ. સી.બી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ ઘટના સ્થળે જવા રવાના થયા હોવાની પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે બન્ને કેદીઓ જેલ ની દીવાલ તોડીને કેવી રીતે ભાગ્યા તે હવે પોલીસ તંત્ર માટે તપાસનો વિષય બની રહેવા પામેલ છે.
#Dadod

