દાહોદ જિલ્લાની કોર્ટોમાં ફાળવાયેલા કરાર આધારિત પટાવાળાઓ સાથે જૂનાગઢની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસ દ્વારા છેતરપિંડી વિશ્વાસઘાત કરાયો.

જિલ્લા કોર્ટમાં ખોટા બીલો રજૂ કરી નાણા ઉપાડી લેતા ભાંડો ફૂટતા બે પ્રોપાઈટરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ.
આઉટ સોર્સ એજન્સીના માધ્યમથી દાહોદ જિલ્લા અદાલત તેમજ દાહોદ જિલ્લાના તાબાની કોર્ટો તથા તાલુકા કોર્ટો તથા કચેરીઓમાં કરાર આધારિત 45 જેટલા પટાવાળા (સેવકો) ની ફાળવણી કરવાના દાહોદ જિલ્લાના ન્યાયાધીશના હુકમને આધારે જૂનાગઢની એક સિક્યુરિટી એજન્સી એ ફાળવેલ 45 પટાવાળાની હાજરી પ્રમાણે ચૂકવવા પાત્ર રકમ કરતાં ઓછી રકમનું ચુકવણું કરી તથા તેઓના ઇપીએફ એકાઉન્ટમાં જમા પાત્ર રકમ જમા ન કરાવી ખોટા બીલો બનાવી તે બીલો જિલ્લા કોર્ટમાં રજૂ કરી પૂરેપૂરી વધારાની રકમ તે એજન્સીએ ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાનું તપાસમાં બહાર આવતા તે એજન્સીના બે પ્રોપાઇટરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે તારીખ 1/ 10/ 2023 થી તારીખ 8 /11 /2023 દરમિયાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશના ઓફિસ ઓર્ડર નંબર 153/ 23 તારીખ 14/9/2023 થી જુનાગઢની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસને આઉટ સોર્સ એજન્સીના માધ્યમથી દાહોદ જિલ્લા અદાલત તેમજ દાહોદ જિલ્લાની તાબાની કોર્ટો તથા તાલુકા કોર્ટો તથા કચેરીઓમાં એજન્સી દ્વારા 45 જેટલા કરાર આધારિત પટાવાળા (સેવકો)ની ફાળવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમના આધારે જૂનાગઢની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસના પ્રોપાઇટર જુનાગઢના વિશાલ ટાવર કાલવાચોક ખાતે રહેતા ભીખાભાઈ મનજીભાઈ વોરા તથા આશિષ વી વોરાએ તેમની એજન્સી દ્વારા 45 જેટલા કરાર આધારિત પટાવાળા (સેવકો)ની ફાળવણી કરી હતી. અને જે પટાવાળાઓને કરાર આધારિત પ્રત્યેક માસની કુલ હાજરી પ્રમાણે રૂપિયા 12730. 90 ચૂકવવા પાત્ર થતા હોવા છતાં એજન્સીના ઉપરોક્ત બંને પ્રોપાઇટરોએ પ્રત્યેક કર્મચારીઓના ખાતામાં ₹8658 ની આસપાસની રકમ જમા કરાવી હતી. જેથી આઉટસોર્સિંગ પટાવાળા કર્મચારીઓના ખાતામાં જમા થયેલ રકમ અંગેના આધાર તથા એજન્સીએ ચૂકવેલ રકમનું બિલ ચકાસતા અને તે અંગેની ગણતરી જોતા પ્રત્યેક કર્મચારીઓના ખાતામાં રૂપિયા 4072.90 ઓછા જમા કરાવી આ એજન્સીએ જિલ્લા અદાલતના એડિશનલ રજીસ્ટ્રારની કચેરીમાં પૂરેપૂરી રકમના બિલો રજૂ કરી પૂરેપૂરી વળતરની રકમ મેળવી ઓછા પગારની ચુકવણી કરી હોવા છતાં સદર કર્મચારીઓના ઇપીએફ એકાઉન્ટમાં રકમ જમા ન કરેલ હોવા છતાં સદર એજન્સી દ્વારા ખોટા બીલો બનાવી જિલ્લા કોર્ટમાં રજૂ કરી પૂરેપૂરી વધારાની રકમ ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનું સામે આવતા દાહોદ જિલ્લા કોર્ટના એડિશનલ રજીસ્ટ્રાર ભાઈલાલભાઈ અંબાલાલ સુથારે આ સંબંધે જુનાગઢ ની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસના પ્રોપાઇટર જુનાગઢના ભીખાભાઈ મનજીભાઈ વોરા તથા આશિષ વી વોરા વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે પોલીસે ઇપીકો કલમ 406, 420, 468, 471,409 મુજબ છેતરપિંડી વિશ્વાસઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ કરી જુનાગઢની શ્રી ચામુંડા સિક્યુરિટી સર્વિસના ઉપરોક્ત બંને પ્રોપાઇટરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.