આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ


દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળી દેશી ગાય આધારિત ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે પ્રગતિશીલ ખેડૂતશ્રી ચંદુભાઈ ભાભોર તેમજ આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા ક્લસ્ટર દીઠ પાંચ ગામોના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ યોજવામાં આવી હતી.

આ દરમ્યાન ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન થતો હોવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં પાણીનો ઓછો ઉપયોગ થતો હોવાથી પાણીનો પણ બચાવ થાય છે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન પહોંચતું નથી. પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદિત કોઈપણ અનાજ કે શાકભાજી સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે.

આવી તાલીમ દ્વારા આ ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને ખાતર બનાવવાની રીતો, પાકની પસંદગી, પાક રોપવાની યોગ્ય રીત, જૈવિક ખાતરોનો ઉપયોગ, ફાયદાકારક જંતુઓનો ઉપયોગ, ખેતરમાં ઉત્પાદિત પાકનું બજાર શોધવા અને વેચાણ કરવા માટેની માહિતી પુરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!