દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસે કરૂણાંતિકા સર્જાઈ : ભથવાડા ટોલબુથ પર પુરઝડપે આવી રહેલ ટ્રકે ૨૫ વર્ષિય યુવકને અડફેટમાં લેતાં યુવકનું મોત નીપજ્યું
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ ભથવાડા ટોલનાકા પર કરૂણાંતિકા સર્જાય તેવો માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકના ચાલકે ટોલનાકા લેન પરથી પસાર થતાં એક ૨૫ વર્ષિય યુવક અડફેટમાં લઈ ટોલબુથના ભાગે દબાવી દેતાં યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. ગત તા.૧૫મી મેના રોજ દેવગઢ બારીઆના ભથવાડા ટોલબુથ પર લેન નં.૬માંથી એક ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી અમીતભાઈ મડસીયાભાઈ કટારા (રહે.રાજસ્થાન) જે સમયે આકસ્મિત રીતે દોડીને આવતાં આ ટ્રકના ચાલકે અમીતભાઈને અડફેટમાં લઈ ટોલબુથના ભાગે ટ્રક સાથે દબાવી દેતાં અમીતભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે અમીતભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ માર્ગ અકસ્માત સર્જી ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રક સ્થળ પર મુકી નાસી ગયો હતો. ઘટના અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક અમીતભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં ત્યારે અમીતભાઈના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે રોનકભાઈ રતનભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

