દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક ૦૯ વર્ષિય બાળકી સહિત બેના મોત
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતને બે બનાવોમાં એક ૦૯ વર્ષિય બાળકી સહિત બેના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડાના કાણાકુવા ગામેથી પસાર થતાં ધામપુર રોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ જુનના રોજ એક અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ૨૬ વર્ષિય ચેતન રણા માવી (રહે.મધ્યપ્રદેશ) ને અડફેટમાં લેતાં ચેતનભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ચેતનભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચેતનભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે બીજી તરફ આ માર્ગ અકસ્માતને અંજામ આપનાર અજાણ્યો ડમ્પરનો ચાલક પોતાના કબજાનું ડમ્પર લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સંબંધે રણા બાથુ માવીએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડાના ઢઢેલા ગામે ઈન્દૌર-અમદાવાદ હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૭મી જુનના રોજ કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફળત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે રસ્તો ઓળંગી રહેલ ૦૯ વર્ષિય જ્યોતિબેન મહેશભાઈ રાવત (રહે.ઢઢેલા, રાવત ફળિયા, તા.લીમખેડા, જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં જ્યોતિબેનને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન જ્યોતિબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે બીજી તરફ આ માર્ગ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક પોતાના કબજાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સંબંધે નરસિંહ દલસિંહ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

