ફતેપુરાના પીપલારા ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતા એકનું મોત
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ફતેપુરાના તાલુકાના પીપલારા ગામે બે મોટરસાઈકલો સામસામે ધડાકાભેર અથડાતાં જેમાં એક મોટરસાઈલના ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૪ જુનના રોજ ફતેપુરાના બારસાલેડા ગામે રહેતો વારજીભાઈ નાનજી કટારા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ફતેપુરાના પીપલારા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ૩૭ વર્ષિય મનુભાઈ નાનાભાઈ એડ (રહે.પીપલારા, ડુંગરી ફળિયું, તા.ફતેપુરા, જિ.દાહોદ)ની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મનુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મનુભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે આ માર્ગ અકસ્માત સર્જનાર વારજીભાઈને કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આ સંબંધે પ્રકાશભાઈ નાનાભાઈ એડ દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

