અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને સહાય માટે જિલ્લા તંત્ર એક્શનમાં
નરેશ ગનવાણી નડિયાદ

આણંદ-ખેડા જિલ્લાના અંદાજિત ૫૬ નાગરિકોએ અમદાવાદથી લંડન જતા એઅર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલાના પરિવારજનોને દરેક જરૂરી સહાય પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર એ કમર કસી છે.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં યોજાયેલી વિશેષ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીઓ, ઈસીડીએસ, એસટી, આરટીઓ, આર એન્ડ બી સ્ટેટ, શિક્ષણ, આયોજન, શ્રમ, ઈલેક્ટ્રિકલ અને જિલ્લા રજિસ્ટ્રાર સહિતના વિભાગોના અધિકારીઓને સંકલનની જવાબદારી આપવામાં આવી છે. કલેક્ટરે અધિકારીઓને માનવીય સંવેદનાશીલતા પૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું કે આપણા સંસ્કાર મુજબ શોકમાં સાથ આપવા એ શ્રદ્ધાંજલિ છે. તેમણે એ પણ જણાવ્યું કે પરિવારજનોને દરેક પ્રકારે સહકાર આપવા માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
અધિકારીઓ મૃત્યુ પામેલાના પરિવારજનો સાથે ૨૪ કલાક સંપર્કમાં રહેશે, દિવસમાં બે વાર મુલાકાત લઈ જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડશે અને અવસાન પામેલ જિલ્લાના નાગરિકોના સ્વજનોને જરૂરી માહિતી આપવામાં આવશે.
