દાહોદના જેકોટમાં કાચું મકાન ધરાશાયી : 7 વર્ષના બાળકનું મોત, પરિવારના અન્ય સભ્યો બચ્યા

દાહોદ તા.૨૯

દાહોદ તાલુકાના જેકોટ ગામના કોટ ફળિયામાં ગુરુવારે મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ. ભારે વરસાદના કારણે એક કાચું મકાન ધરાશાઈ થયું હતું. આ ઘટનામાં 7 વર્ષના જીગ્નેશ બામણીયાનું મોત નીપજ્યું હતું. મકાનમાં સૂતેલા જીગ્નેશના માતા-પિતા અને અન્ય એક બાળક નસીબજોગે બચી ગયા હતા.

સ્થાનિક સૂત્રો મુજબ, સતત વરસાદના કારણે મકાનની દીવાલ નબળી પડી હતી. આ કારણે મકાન અચાનક ધસી પડ્યું હતુ. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે બચાવ કાર્ય શરૂ કર્યું. જોકે, જીગ્નેશને બચાવી શકાયો નહીં. વહીવટી તંત્ર અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી છે. તેમણે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે. લોકો ભારે વરસાદ દરમિયાન કાચા મકાનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વહીવટી તંત્રે પરિવારને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!