દાહોદમાં દેવગઢ બારીયા ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમનું કરાયું આયોજન”

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. નયન જોષીના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત આરોગ્યલક્ષી યોજનાઓને આગળ ધપાવતાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની પી.કે.પી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભથવાડા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન તા. 09/10/2025 થી 07/12/2025ની અવધિ દરમિયાન સમગ્ર જિલ્લામાં સતત ચાલું છે.
આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતા સ્વાસ્થ્ય નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત COTPA-2003 અંતર્ગત લાગુ કાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ કાનૂની જાગૃતિ સાથે સ્વસ્થ જીવન તરફ પ્રેરાઈ શકે.
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધે તે માટે રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું. જેમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાથીને ટિફિન બોક્સ તથા તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પાણીની બોટલથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ભાગ લેનાર તમામ 612 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે બોલપેન આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા શાળાને “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” તરીકે જાહેર કરવામાં આવી, જે શાળા અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોની મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે. કાર્યક્રમને સફળ બનાવતા એન.ટી.સી.પી. કાઉન્સિલર, આર.બી.એસ.કે. નોડલ મેડિકલ ઓફિસર, ભથવાડા એમ.પી.એચ.એસ., એમ.પી.એચ.-ડબલ્યુ. તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણની સક્રિય હાજરી અને સહયોગ મહત્વપૂર્ણ રહ્યો.

