લીમખેડાના માન્લીમા ભીષણ આગમાં અનાજ રોકડ તથા ઘરવખરી સામાન સાથે એક મકાન સંપૂર્ણ બળીને રાખ.
દાહોદ
પરિવારની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી:
લીમખેડા ના માન્લી ગામે ગત રાતે એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં રોકડ, અનાજ, કપડાંલત્તા તથા ઘરવખરી ના સામાન સાથે મકાન સંપૂર્ણ બળીને રાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું છે. પરિવારની સમયસુચકતાને કારણે સદ્નસીબે જાનહાનિ ટળી હતી. જાણવા મળ્યા મુજબ લીમખેડાના માન્લી જામી રહેતા મહેશભાઈ પ્રતાપભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે જમી પરવારી મીઠી નીંદર માણવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી. અને રાત્રિના તેજ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આગ ભીષણ રૂપ લે તે પહેલા જ મહેશભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ સમય સૂચકતા વાપરી ઘરમાં બાંધી રાખેલ નાના-મોટા તમામ પશુઓને છુટ્ટા કરી ઘરની બહાર મોકલી દીધા હતા. અને પરિવારના તમામ સભ્યો પણ ઘરની બહાર નીકળી ગયા હતા જેના કારણે જાનહાની ટળી હતી.. આગ અંગેની જાણ દેવગઢબારિયા ફાયર સ્ટેશન કરવામાં આવતા દેવગઢબારિયા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતાં અને આવતા વેંત જ પાણીનો સતત મારું ચલાવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં ઘરમાં રાખેલ રોકડ, અનાજ, કપડાંલત્તા, તેમજ ઘરવખરી સામાન સાથે ઘર સંપૂર્ણ બળીને રાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. આ અંગેની જાણ થતાં જ લીમખેડા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક તંત્રે આગમાં થયેલ નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


https://shorturl.fm/shXw1