જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી : અધિકારીઓ – કર્મચારીઓએ ભારતના બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
દાહોદ તા.૨૬
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવેની અધ્યક્ષતામાં અધિકારીઓ – કર્મચારીઓએ બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરી હતી અને ભારતના બંધારણના આમુખના શપથ લઇ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવેએ ભારતીય બંધારણના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે સમજ આપી હતી અને બંધારણના આમુખનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંધારણનું આમુખ સાચો નિર્ણય કરવા માટે યોગ્ય દિશાદર્શન-માર્ગદર્શન આપે છે અને જયારે પણ કંઇ મહત્વની બાબતે નિર્ણય લેવાનો હોય તો બંધારણના મૂલ્યોનો પ્રથમ ખ્યાલ કરવામાં આવે છે.
અધિક કલેક્ટરશ્રીએ આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકરની બંધારણના નિર્માણમાં ભૂમિકા યાદ કરી તેમના પ્રદાન વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ સૌ કર્મયોગીઓએ બંધારણ પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવતા બંધારણના આમુખનું વાચન કરીને શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવીડ-૧૯ની તમામ માર્ગદર્શીકાનું સુપેરે પાલન કરવામાં આવ્યું હતું.
#Dindhuuday Dahod

