જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા જાહેર કરાયેલા જાહેરનામા હવે આગામી તા. ૩૧, મે સુધી અમલમાં રહેશે : ડી.જે. પ્રતિબધ, રાત્રી સંચારબંધી, ફરજીયાત કોરોના ટેસ્ટ તથા લગ્ન સમારોહના જાહેરનામાની મૃદ્દત વધારાઇ
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે વર્તમાન કોરોનાની સ્થિતિને જોતા જાહેરનામાની મૃદ્દતમાં વધારો કરીને આગામી તા. ૩૧, મે સુધી લંબાવવામાં આવ્યા છે અને કેટલાંક ગામ-શહેરમાં જે રાત્રી સંચારબંધીનું જાહેરનામું લાગુ છે ત્યાં આગામી તા. ૫, મે સુધી લંબાવવામાં આવ્યું છે.
આગામી તા. ૩૧ મે સુધી જે જાહેરનામાં લાગુ પડશે તેમાં ડી.જે. વગાડવા પર પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્ર થવા પર પ્રતિબંધ અને મામલતદારશ્રી પાસેથી લગ્ન સમારંભની પૂર્વમંજૂરી અંગેનું જાહેરનામું ઉપરાંત દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારનાં દુકાનદારો-વેપારીઓ-ફેરીયાઓ કે તેમના શ્રમિકોને દર દસ દિવસે ફરજીયાત કોરોનાનો ટેસ્ટ કરાવવા અંગેના જાહેરનામાનો સમાવેશ થાય છે.
રાત્રી સંચારબંધી જે જાહેરનામાઓ દ્વારા જે ગામ-શહેરમાં લાગુ પાડવામાં આવી હતી તે ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ શહેર, ફતેપુરા ગામ, ગરબાડા ગામ, લીમખેડા ગામ, સંજેલી ગામ, સીંગવડ ગામ, ધાનપુર ગામ, પીપલોદ ગામ, પાલ્લી ગામ, જેસાવાડા ગામ, સુખસર ગામ ખાતે રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધીના સંચારબંધીનું જાહેરનામું હવે આગામી તા. ૫, મે સુધી લાગુ પડશે.