દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા દાહોદમાં પધારેલ ગુજરાતના શિક્ષણમંત્રીને શાળાના વિવિધ પ્રશ્નો સંદર્ભે લેખિત રજુઆત કરવામાં આવી
રિપોર્ટર : ગગન સોની, લીમડી
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના મુખ્ય મથકે એવા દાહોદ શહેરમાં આજરોજ ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં પધાર્યાં હતાં. આ દરમ્યાન દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લામાં આવેલ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ઉત્તર બુનિયાદી શાળાના વિવિધ પ્રશ્નોની લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા આજે દાહોદ શહેરના વિશ્રામગૃહ ખાતે આવેલ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાતે પહોંચ્યાં હતાં જ્યાં દાહોદ જિલ્લામાં આવેલા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ઉત્તર બુનિયાદી શાળાના વિવિધ પ્રશ્નો જેવા કે, પરિણામ આધારીત ગ્રાન્ટ પ્રથા રદ કરવા, દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી જિલ્લો હોવાથી ધોરણ ૦૯ થી ૧૨માં રમતગમતના સાધનો, વિજ્ઞાનના સાધનો, સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સંગીતના સાધનો, ડ્રેસ (ગરબા, રાશ, નૃત્ય) ખરીદવા આર્થિક સહાત કરવા, શાળાઓમાં આચાર્ય, ક્લાર્ક, પટાવાળા, લાયબ્રેરિયન, શિક્ષકોની તારીખ ૩૧.૦૫.૨૦૨૧ સુધીમાં ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક ભરવા, અગાઉથી નિમણુંક હુકમો મંગાવી લેવાની પ્રથા બંધ કરવા, વર્ષ ૨૦૨૧ - ૨૨ની નિભાવ ગ્રાન્ટ પ્રથમ હપ્તો આપેલ નથી જે આપવા, પ્રવાસી શિક્ષકોના મહેકમના આદેશ દાહોદ જિલ્લામાં થયેલ નથી જે તાત્કાલિક કરવા આદેશ કરવા, કોવિડ - ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીના કોરોના કાળમાં શાળાઓને લાગતા મિલ્કત વેરો, વિજળી બીલ, પાણીવેરો, મકાનવેરો, સફાઈવેરો વિગેરે માફ કરવા બાબત, દાહોદ જિલ્લાની શાળાઓમાં ભૌતિક સુવિધાઓ માટે સીએસઆરમાંથી ગ્રાન્ટ મળે તે માટે યોગ્ય રજુઆત તેમજ દાહોદ જિલ્લાની શાળાઓમાં ધોરણ ૦૯ થી ૧૨માં વિદ્યાર્થી સંખ્યા વધતા વધારાના વર્ગાેને મંજુરી આપવા બાબતે સહિતની અનેક રજુઆતો લેખિતમાં કરવામાં આવી હતી.

