જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે : કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ : પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ
દાહોદના વિવિધ ૩૮ પરીક્ષા કેન્દ્રોમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટના રોજ લેવાનારી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી સંબંધી પરીક્ષાઓને પગલે દાહોદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અશોક પાંડોર દ્વારા એવા પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે કે, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ લેવાનારી પરીક્ષાઓ જે કેન્દ્ર ઉપર લેવામાં આવનાર છે, તેની આસપાસની સો મીટર વિસ્તારમાં પરીક્ષાના સમય પૂર્વે અડધી કલાક અને પૂર્ણ થયા બાદના એક કલાક સુધી, એટલે કે સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહી કે એકત્ર થવું નહીં. પરીક્ષા કેન્દ્રના ૧૦ મિટરના વિસ્તારમાં કોઇએ એકત્ર ટોળારૂપે એકત્ર થવું નહી. પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારના વાજિંત્ર વગાડી શકાશે નહીં.
બીજા જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રો પાસે સો મિટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૨ વાગ્યા સુધી બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન વગેરે પ્રત્યાંયનના સાધનો લાવી શકશે નહી. પરીક્ષા કેન્દ્ર આસપાસ સવારના ૯.૩૦ થી ૧૮.૩૦ વાગ્યા દરમિયાન માઇક વગાડી શકાશે નહી.

