વડતાલધામમાં ચૈત્રી એકાદશીના શુભદિને સાત પાર્ષદોનું મોક્ષના માર્ગે પ્રયાણ.
નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચિત્ર સુદ એકાદશીના શુભદિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. પૂ.આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી કુલ ૮૬૬ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે સંતોને ભાગવતી દીક્ષા આપવાનો અધિકાર માત્ર ને માત્ર બે દેશના ગાદી આરૂઢ આચાર્ય મહારાજને આપેલ છે. આચાર્ય મહારાજ સિવાય કોઈ પણ વ્યક્તિ સ્વામિનારાયણના સાધુને દીક્ષા આપવાનો અધિકાર નથી.
આજે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને સવારે શણગાર આરતી બાદ ગોપાળાનંદ સ્વામીના આસને દીક્ષાર્થી પાર્ષદના હસ્તે પૂજાવિધિ યોજાઈ હતી. દરમ્યાન સવારે ૯:૪૫ કલાકે આચાર્ય મહારાજ મંદિરના કોઠારી સહિત સૌ અગ્રણી સંતો સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા. જ્યાં આચાર્ય મહારાજે સૌ દીક્ષાર્થી પાર્ષદોને કંઠી, યજ્ઞોપવિત પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. . આજે મહારાજએ બે બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને સંત તરીકેની ભાગવતી દીક્ષા આપી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં ૮૬૬ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી ચુક્યા છે.
આ પ્રસંગે આચાર્ય મહારાજે સૌ દીક્ષાર્થી સંતોને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે સૌ સંતોએ પોતાના ગુરૂની આજ્ઞા પાળવી, ગુરૂની સેવા કરવી, નિયમિત સત્શાસ્ત્રનું વાંચન કરવું અને સંપ્રદાયનો વિકાસ થાય તેમ સત્સંગનો પ્રચાર-પ્રસાર કરવો. દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ મહારાજએ આરતી ઉતારી હતી. અને સહુ સંતોને સાથે લઈ મંદિરે દેવોના દર્શન કરવા પધાર્યા હતા. જ્યાં દીક્ષાર્થી સંતોએ ત્રણેય દેરામાં બિરાજમાન દેવોને સાષ્ટાંગ દંડવત્ કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજે સહુ દીક્ષાર્થી સંતો સાથે સમુહ તસ્વીર પડાવી હતી. આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી સંત સ્વામી, શ્યામવલ્લમ સ્વામી સહિત સૌ સંતો સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત હરિભક્તોએ સૌ નવદિક્ષીત સંતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. બોક્ષ શ્રી લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ ૧૮ બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી. આજે ગાદીવાળા માતૃશ્રીએ સરધાર, ભાવનગર, મહુવા અને રાજકોટના ૧૮ બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી હતી. તેઓએ આજદિન સુધીમાં ૩૦૦ બહેનોને દીક્ષા આપી છે. દીક્ષાવિધિ બાદ ગાદીવાળા મંદિરમાં સહુ સાંખ્યયોગી બહેનો સાથે વડતાલ મંદિરમાં દર્શન કરવા પધાર્યા હતા. આ પ્રસંગે તેઓની સાથે વડતાલ, ડભાણ, ગઢડા અને સુરતના સાંખ્યયોગી માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
