નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લા આરોગ્ય વિભાગે ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ખાસ ઝૂંબેશ ઉપાડી આ રોગને નાથવા અને લોકજાગૃતિ માટે વિશિષ્ટ કામગીરી કરવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જેમાં ઘરે ઘરે પહોંચી વિવિધ કામગીરી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના નડિયાદ, ખેડા, મહેમદાવાદ, માતર, મહુધા, ઠાસરા, કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને વસો આમ ૧૦ તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયાના કેસોને ડામવા જનજાગૃતિ અને ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા આવી રહ્યું છે. ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી આ ઝૂંબેશ ચાલુ રહેશે. વસો તાલુકામા આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કુલ ૪૦ ટીમો તેમજ ૧૪ સુપર વાઈઝર દ્વારા આ સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેમાં મચ્છર ઉત્પતિ સ્થાન ૨૦,૮૦૩મળી આવ્યા હતા. અને ૧૨૩ મચ્છરના ઉત્પત્તિ સ્થાનનો નાશ કરાયો છે. આ ઉપરાંત ૧૬૦ જેટલા ઘરમાં ફોગીગની જરૂર પડતા ફોગીગ કરાયું છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઇને વધુ વેગ આપીએની થીમ પર આ તાલુકામાં ઉજવણી કરાઈ છે. આ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલીન્દ્રા, ખાંધલી, પલાણા,પીજ ખાતે કરવામાં આવી છે. જેમાં લોકજાગૃતિ માટે મચ્છરનું જીવન ચક્ર, લાઈવ ડેમોસ્ટ્રેશન, જૂથ ચર્ચા, સોર્સ રીડકશનની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને જિલ્લા મેલેરિયા અધિકારી મેલેરિયા શાખાના સિધા માર્ગ દર્શન હેઠળ કરવામાં આવી હતી.
