મહુધા અને નડિયાદના ધારાસભ્ય દ્વારા ૧૫૧ દિકરીઓના નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમૂહ લગ્નમાં હાજરી આપી.

નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. આ લગ્નોત્સવમાં અનાથ અને જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવ્યા છે.
ચકલાસી ગામે ઉત્તરસંડા-ભાલેજ રોડ પર આયોજિત આ સમૂહ લગ્નમાં નડિયાદ મતવિસ્તારની ૫૦ અને મહુધા મતવિસ્તારની ૧૦૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે જનપ્રતિનિધિઓએ વડીલોની છત્રછાયા આપી જવાબદારી લીધી છે. આ સમાજલક્ષી કાર્યથી સામાજિક સમરસતા વધે છે. મુખ્યમંત્રીએ નવદંપતીઓને ત્રણ સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું. વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વૃક્ષોનું જતન કરવું અને સ્વચ્છતા જાળવવી એવા સંકલ્પો લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, RSSના હસમુખભાઈ પટેલ, મહેમદાવાદ અને માતરના ધારાસભ્ય તેમજ અમૂલના ચેરમેન વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
