કણજરી નજીક આવેલી અલીશા સ્નેક્સ પ્રા. લિ. કંપનીમાંથી મરીની ચોરીનો ભેદ ઉકેલાયો
નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ પોલીસે કંપનીમાંથી આશરે ૧૫૦ કિલોગ્રામ કાળા મરી ચોરી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ૧ લાખ ૧૨ હજાર ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કણજરી-નડિયાદ રોડ પર આવેલી અલીશા સ્નેક્સ પ્રા. લિ. કંપનીમાંથી મરીની ચોરી અંગે ધર્મેન્દ્રભાઈ મનહરભાઈ પાટડિયાએ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પી.એસ. બરંડાએ યુ.એચ. કાતરીયા અને તેમની ટીમને તપાસ સોંપી હતી. પોલીસ ટીમે કંપનીમાં જઈને કારીગરોની પૂછપરછ કરી, સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ્યા અને હ્યુમન સોર્સિસની મદદ લીધી. આ દરમિયાન, બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. શરૂઆતમાં તેઓએ ગલ્લાતલ્લા કર્યા, પરંતુ પોલીસે વિશ્વાસમાં લઈને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલ કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ નોકરીના સમય પહેલા આવીને થોડા થોડા મરી તેમની બેગમાં ભરીને લઈ જતા હતા. સી.સી.ટી.વી. ફૂટેજમાં તેમના ચહેરા અને ચાલચલગત મેચ થતા હોવાથી, પોલીસે દિનેશભાઈ લાલજીભાઈ ભોજાણી રહે. અલીન્દ્રા, ઈન્દિરાનગરી, નડિયાદ, કલ્પેશભાઈ મહેશભાઈ ભોજાણી રહે. અલીન્દ્રા, ઈન્દિરાનગરી, નડિયાદ, પિન્ટુભાઈ મનુભાઈ રાઠોડ રહે. બોરીયાવી, આણંદ, વિશાલ બુધાભાઈ પરમાર રહે. વડતાલ, નડિયાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી આશરે ૧૫૦ કિલોગ્રામ કાળા મરી, જેની કિંમત લગભગ ૧,૧૨,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

