ગરબાડા તાલુકાના વીજાગઢ ગામનો ચકચારી બનાવ : પરિવારમાં માતમ છવાયો : ૬ માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર દંપતિએ કુવામાં ઝંપલાવતાં બંન્નેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વીજાગઢ ગામે એક દંપતિએ અગમ્યકારણોસર ગામમાં આવેલ કુવામાં ઝંપલાવી મોત વ્હાલુ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પોલીસે બંન્નેના મૃતદેહોને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં. ગત તા.૨૦મી મેના રોજ વહેલી સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ગામમાં રહેતાં હેમાંગભાઈ (હાર્દિકભાઈ) (ઉ.વ. ૨૦) અને તેમની પત્નિ સાધનાબેન (ઉ.વ. ૨૨) એમ બંન્ને જણાએ અગમ્યાકારણોસર ગામમાં આવેલ એક કુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. યુવક અને યુવતીના પરિવારજનોમાં ઘટના સ્થળ પર આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંન્નેના મૃતદેહોને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં. દંપતિએ કયાં કારણોસર આત્મહત્યા કરી તેનું હાલ સુધી સાચુ કારણ જાણવા મળ્યું નથી. સંબંધે મૃતક યુવક હેમાંગભાઈ (હાર્દિકભાઈ) ના પિતા રાકેશભાઈ કેશવભાઈ સોલંકીએ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

