ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજા રણછોડના ચરણોમાં શીશ ઝુકાવ્યું.

ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજા રણછોડના ચરણોમાં શીશ ઝુકાવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

જય રણછોડ’ના નાદ સાથે ડાકોર ગુંજી ઉઠ્યું; હર્ષ સંઘવીએ રાજ્યની સુખાકારી અને શાંતિ માટે કરી મંગલ કામના

યાત્રાધામ ડાકોર ખાતે સુપ્રસિદ્ધ ફાગણી પૂનમ મહોત્સવ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયના દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે આવેલા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ફાગણી પૂનમે પગપાળે ચાલીને શ્રી કૃષ્ણના દર્શને આવવાની પરંપરા વર્ષો જૂની છે. લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે ત્યારે સમગ્ર ડાકોર ‘જય રણછોડ’ના નાદથી ભક્તિમય બની જાય છે.” તેમણે પદયાત્રીઓ માટે કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓ બદલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
મહોત્સવના પ્રારંભે વહેલી સવારે ૦૨ કલાકે યોજાયેલી મંગળા આરતીમાં અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ સહભાગી થયા હતા. આ તકે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જન કલ્યાણના હેતુથી મંદિરે ધજારોહણ કરવામાં આવ્યું હતું. રેન્જ આઇજીએ નવા વર્ષમાં જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેવી કામના કરી હતી. આ ધાર્મિક ઉત્સવમાં
ધારાસભ્યો અને અગ્રણી નયનાબેન પટેલ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, રેન્જ આઇજી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ,જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર,મંદિર ટ્રસ્ટી ગિરીશ દાણી અને વન સંરક્ષક અભિષેક સામરીયા,વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, મંદિરના સેવકો અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોએ રાજા રણછોડના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

11 thoughts on “ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજા રણછોડના ચરણોમાં શીશ ઝુકાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!