ધાનપુરના દુ ગામે 61 વર્ષીય વૃદ્ધને મધમાખીના ઝુંડે ડંખ મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર (દુ) ગામે એક ૬૧ વર્ષિય વૃધ્ધને ઝાડ ઉપરથી ઉંડીને આવેલ મધમાખીના ઝુંડે કરડી લેતાં ગંભીર ઈજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૫મી જાન્યુઆરીના રોજ લીમખેડાના ધાનપુર (દુ) ગામે પરમાર ફળિયામાં રહેતાં ૬૧ વર્ષિય મસુલભાઈ કલાભાઈ પરમાર પોતાના ગામમાં હતાં ત્યારે એક ખાટી આંબલીના ઝાડ પાસેથી તેઓ પસાર થયાં હતાં ત્યારે તે સમયે ઝાડ પરથી એક મઘમાખીનું ઝુંડ ઉડીને મસુલભાઈ તરફ આવ્યું હતું અને મસુલભાઈને આખા શરીરે મધમાખીએ ડંખ મારતાં મસુલભાઈએ બુમાબુમ કરી મુકી હતી. મસુલભાઈની બુમાબુમને પગલે પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મધમાખીના ડંખથી ગંભીર ઈજાગ્રસ્ત મસુલભાઈને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મસુલભાઈનું મોત નીપજતાં પરિવાજનોમાં ગમગીની છવાઈ હતી. આ સંબંધે રાહુલભાઈ ચતુરભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

