નડિયાદ સેન્ટ મેરિસ ચર્ચ ખાતે ‘પામ સંડે’ની શ્રદ્ધાભેર ઉજવણી: ખ્રિસ્તી સમુદાય દ્વારા ભવ્ય સરઘસ અને ખ્રિસ્તયજ્ઞ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા સહિત વિશ્વભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા આજે ‘તાડપત્રના રવિવાર’ એટલે કે પામ સંડેની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદના ઐતિહાસિક સેન્ટ મેરિસ ચર્ચ ખાતે આ અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
ઈશુના વિજય પ્રસ્થાનની સ્મૃતિ
ધાર્મિક પરંપરા મુજબ, પ્રભુ ઈશુના યરૂસાલેમમાં વિજયી પ્રવેશની યાદમાં આ દિવસ ઉજવાય છે. નડિયાદમાં ખ્રિસ્તી બિરાદરોએ હાથમાં ખજૂરીના તાડપત્રો (પામ) લઈ સરઘસ કાઢ્યું હતું અને ત્યારબાદ ચર્ચમાં પ્રવેશ કરી વિશેષ ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો હતો.
ચર્ચના ફાધરે આ દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ દિવસે ભગવાન ઈશુએ ખોલકા પર સવાર થઈ પોતાની મૃત્યુયાત્રા ભણી પ્રયાણ કર્યું હતું. તે સમયે લોકોએ તેમને રાજા તરીકે આવકારી હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ઈશુનો સંઘર્ષ અને મુક્તિદાતા તરીકેની તેમની ઓળખ માનવજાત માટે શાંતિનો સંદેશ છે. ૪૦ દિવસની તપઋતુ  દરમિયાન આવતો આ રવિવાર પવિત્ર સપ્તાહ ની શરૂઆત સૂચવે છે. આગામી દિવસોમાં ખ્રિસ્તી કેથલિક પરિવારો વિવિધ ધાર્મિક વિધિઓમાં જોડાશે, જેમાં પગ ધોવાની વિધિ, ક્રૂસના માર્ગની ભક્તિ અને રાત્રી આરાધના માતા મરિયમને દિલાસો અને પાસ્ખા પર્વ જાગરણ, મીણબત્તી આશીર્વાદ અને વિશેષ પ્રાર્થના સભાઓ આગામી ગુરુવાર બપોરથી શનિવાર મધ્યરાત્રિ સુધી તમામ દેવાલયોમાં અવિરત પ્રાર્થના ચાલશે. સપ્તાહના અંતિમ ત્રણ દિવસ—ગુરુવાર, શુક્રવાર (ગુડ ફ્રાઈડે) અને શનિવાર—વર્ષના સૌથી પવિત્ર દિવસો ગણાય છે, જે પ્રભુ ઈશુના બલિદાન અને પુનરુત્થાનની ગાથા સાથે જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!