વિકાસ યાત્રાનો રથ ગામે ગામ લોકો સુધી વિકાસકાર્યો પહોંચાડી : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગ્રામજનો ઘર આંગણે મેળવી રહ્યાં છે વિવિધ યોજનાકીય લાભો
દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામે ગામ લોકો સુધી વિકાસકાર્યો પહોંચાડી રહ્યો છે. ગત રોજ દાહોદ, ઝાલોદ, લીમખેડા તાલુકાના ૩૨ જેટલા ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચ્યો હતો તેમજ ૩૭૨૪ જેટલા નાગરિકો આ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગત રોજ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ૧૮૯૩ જેટલા લાભાર્થી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા તેમજ ૫૬ જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ કરાયા હતા અને ૨૨ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયા હતા. આ વેળાએ જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ, સરપંચ તેમજ ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
આજે પણ દાહોદનાં બાવકા, ઝાલોદના છાસીયા, ઘેસવા સહિતના ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ પહોંચ્યો હતો. રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. રથ સાથે દર્શાવવામાં આવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી. ગ્રામજનોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો. તેમજ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ અપાઇ હતી.

