દાહોદ જિલ્લામાં મહેસુલી ક્રાંતિ – વિવિધ સેવાની ૨૭૦ અરજીઓ ઓનલાઇન, ૧૦૮ મંજૂર
મહેસુલી તંત્રની વિવિધ સેવાઓને ઓનલાઇન કરી તેમાં સરળીકરણ અને પારદર્શક્તા લાવવા માટે શરૂ કરવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA)ને પરિણામે અરજદારો માટે સરળ રાહનું નિર્માણ થયું છે. દાહોદ જિલ્લામાં મહેસુલને લગતી વિવિધ સેવા માટે અત્યાર સુધીમાં ૨૭૦ અરજીઓ મળી છે. જે પૈકી ૧૦૮ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે.
અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવેએ જણાવ્યું કે, ગણોત ધારાની કલમ ૪૩ મુજબ પ્રિમિયર ભરવાની મંજૂરી માટે કુલ ૨૪ અરજીઓ ઓનલાઇન મળી હતી. જેમાં ૨૧ અરજીઓને સ્વીકૃતિ મળી હતી અને ૮ અરજીઓના હુકમ પણ જનરેટ કરી દેવામાં આવ્યા હતા. ગણોત ધારા હેઠળ મળેલી જમીનને જૂની શરતમાં ફેરવવા માટે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
એ જ પ્રકારે નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે બિન ખેતીના હેતુ માટે પ્રિમિયર ભરવાની મંજૂરી મેળવવા માટે ૩૫ અરજીઓ મળી હતી. એના પર થયેલી ઓનલાઇન કાર્યવાહી બાદ ૧૪ અરજીઓના હુકમ આપી દેવામાં આવ્યા હતા. ખેતીના હેતુ માટે જૂની શરતમાં જમીન પ્રિમિયમ ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવે છે.
કોઇ કંપની કે પેઢી ખેતીની જમીન ખરીદી કરી તેને બિન ખેતીમાં પરિવર્તિત કરવા માટે ગણોત ધારાની કલમ ૬૩એએ હેઠળ પ્રમાણિક ઔદ્યોગિક હેતુથી અરજી કરે છે. આવી કુલ ૧ અરજી મળી હતી. જે કાર્યવાહી હેઠળ છે.
દાહોદ જિલ્લામાં જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૫ મુજબ બિન ખેતી કરવા માટે કુલ ૧૮૪ અરજીઓ આઇઓઆરએમાં મળી હતી. તે પૈકી ૧૫૫ અરજીઓને ઓનલાઇન સ્વીકૃતિ મળી હતી. ૨૭ અરજીઓ રિજેક્ટ થઇ હતી. ૭૬ અરજીઓને બિન ખેતી માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, ૭૦ કેસમાં બિન ખેતીના હુકમ જનરેટ કરી દેવામાં આવ્યા હતા.
ઉક્ત અધિનિયમની કલમ ૬૫(અ) મુજબ બિનખેતીના હેતુ ફેર માટે ૧૦ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. એમાં પાંચ અરજીઓને સ્વીકૃતિ મળી હતી. એક અરજી માટે હુકમ આપી દેવામાં આવ્યા છે. જે હેતુ માટે બિન ખેતી કરાવી હોય એ બાદમાં તેનો હેતુ ફેર કરાવવા માટે આવી અરજી કરવામાં આવે છે. અહીં મોટા ભાગે રહેણાંક હેતુંમાંથી વાણિજ્ય કે ઔદ્યોગિક હેતુમાં ફેરવવા અરજી કરવામાં આવે છે. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે. બિનખેતી શરત ભંગના કિસ્સામાં પણ ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવે છે. ઉક્ત તમામ કાર્યવાહી મુખ્યત્વે જિલ્લા મહેસુલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે, આ કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવતા અરજદારો માટે પણ સરળતા ઉભી થઇ છે.
ઓનલાઇન કરવામાં આવેલી અરજીની રાજ્ય કક્ષાએ સ્ક્રુટિની કરવામાં આવે છે. આ માટે મહેસુલ વિભાગ દ્વારા આઠ પીએસઓ એટલે કે પ્રિ-સ્ક્રુટિની ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. અરજીઓ રિજેક્ટ થવાના મુખ્ય કારણોમાં સોગંધનામા અધુરા હોવા, તેમાં સહિના હોવી, કબ્જેદારની સહીના હોવા જેવા મુખ્ય છે. જ્યારે, અરજીઓ દફતરે કરવા પાછળ જમીનનું ટાઇટર ક્લીયર ના હોવું, વારસાઇની નોંધ ના થઇ હોય, તમામ ખેડૂત ખાતેદારની સહીના હોવી જેવા કારણો મુખ્ય છે.
ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA) હેઠળ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૦ અરજીઓ પૈકી ૪૦ અરજીઓ પીએસઓ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે. બાકી રહેલી ૨૩૦ નિકાલ કરવા પાત્ર બનતી હતી. તેમાંથી ૧૦૮ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી. ૯૫ અરજીઓ દફતરે કરવામાં આવી હતી. ૨૭ અરજીઓ કાર્યવાહી હેઠળ છે.
મહેસુલ વિભાગે એક લોકહિત નિર્ણય લીધો છે. એ મુજબ પ્રિમિયમ પાત્ર જમીનને પ્રિમિયર ભરવા અને તે બાદ બિન ખેતીમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ અરજી કરવાને બદલે હવે બન્ને અરજીઓ એક સાથે કરી શકાય છે. એથી અરજદારોનો સમય પણ બચશે. આવી બે અરજીઓ ઓનલાઇન થઇ છે. આ ઉપરાંત, વારસાઇની અરજીઓ પણ ઓનલાઇન કરી શકાય છે.
આમ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સંકલ્પ દાહોદ જિલ્લા મહેસુલ તંત્ર સાકાર કરી રહ્યું છે.

