ડાકોરમાં આખલાના ત્રાસથી યાત્રાળુઓમા નાસભાગ મચી ગઇ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમના દિવસે યાત્રાળુઓની ભારે ભીડ વચ્ચે એક આખલાએ દોડાદોડ કરતાં નાસભાગ મચી ગઇ હતી. તોફાને ચઢેલાં આખલાંએ ચારેક યાત્રાળુઓને અડફેટે લીધા હતા.
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં શનિ-રવિવાર ઉપરાંત વારતહેવારે અને પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા છે. ત્યારે મંદિરની આસપાસ લોકોની ભારે ભીડ જોવા મળે છે. પૂનમને લઇને દર્શનાર્થીઓની મંદિરની આસપાસ ભારે ભીડ હતી તે સમયે એકાએક એક આખલો લોકોની ભીડ તરફ આગળ વધતાં જ નાસભાગ મચી ગઇ હતી. ચારેક યાત્રાળુઓને આખલાએ ગોથું માર્યું હતું. જોકે કેટલાક પોલીસ કર્મીઓ અને અન્ય લોકોએ આખલાને ભીડથી દૂર તગેડી મૂક્યો હતો. ઘટનાને લઇને દર્શનાર્થે આવેલાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દર્શનાર્થીઓની ભીડ વચ્ચે આ રીતે એકાએક દોડી આવતાં રખડતાં ઢોરને કારણે કોઇ જીવલેણ ઘટના બને તો જવાબદાર કોણ ? ડાકોર નગરમાં છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે, ત્યારે પાલિકા દ્વારા આ બાબતને લઇને ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે.

