સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી મળે એ રીતે અધિકારીઓ કામ કરે – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં દિશા કમિટીની બેઠક સંપન્ન
દાહોદ તા.30
દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાનું અસરકારક અમલીકરણ થાય તો જ જનકલ્યાણની ભાવના સાકાર થઇ શકે છે. સરકારની યોજનાનો સુદ્રઢ અમલ કરવાનું કામ સરકારી અમલદારોનું છે. તેથી અધિકારીઓ પરસ્પર સારી રીતે સંકલન સારી સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડે એ જરૂરી છે. તેમણે આવું આજે મળેલી દાહોદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠકમાં જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ટ્રાયબલ વિસ્તાર માટેની ખાસ યોજનાનો લાભ દાહોદ જિલ્લાને વિશેષ પ્રમાણમાં લાભ મળ્યો છે. પીવાના પાણી, કૃષિ અને કૃષિકાર સમૃદ્ધિકરણ, રસ્તા, વીજળીકરણ, સિંચાઇ ઉપરાંત વિવિધ સેવાઓને લગતી બાબતોને આવરી લઇને દાહોદને સરકારશ્રી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જરૂરી તમામ પ્રકારના અનુદાન આપવામાં આવે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાંટનો સંપૂર્ણપણે ઉપયોગ થાય અને લોકકલ્યાણ માટે તેનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે. તેથી આ ઉત્તરદાયિત્વનું સારી રીતે વહન થાય એ જરૂરી હોવાની શીખ તેમણે આપી હતી. બેઠકના પ્રારંભે બન્ને મહાનુભાવોનું સ્વાગત કર્યા બાદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સરકારશ્રીની વિવિધ યોજનાની પ્રગતિની બાબતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી. દિશાની આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં આવાસો, સ્માર્ટ સિટી, એમજીવીસીએલ, માર્ગ અને મકાન, કૃષિ અને સિંચાઇ, રેલ્વે, પોસ્ટ, વન વિભાગ, પ્રાયોજના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આઇસીડીએસ, શિક્ષણ, સ્વચ્છતા અને મનરેગા સહિતની યોજનાની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિધાયક સર્વ શ્રી વજુભાઇ પણદા, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, નિયામક શ્રી સી. બી. બલાત, પ્રયોજન અધિકારી શ્રી બી. ડી. નિનામા, શ્રી કિરણ ગેલાત, સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

