દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના જાલત ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી એપ્રિલના રોજ દાહોદના છાપરી ગામે નીશાળ ફળિયામાં રહેતો કલ્પેશભાઈ લાલુભાઈ મકવાણા પોતાના કબજાની મોટરસાઈકલ પર પોતાના ગામમાં રહેતાં અંકિતભાઈ પપ્પુભાઈ મકવાણા અને રોહનભાઈ મનીશભાઈ મકવાણાને બેસાડી દાહોદના જાલત ગામેથી પસાર થતાં હાઈવે પરથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે અંકિતભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે વચ્ચે બેઠેલ રોહનભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે પપ્પુભાઈ દલાભાઈ મકવાણાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆના દેગાવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૮મી એપ્રિલના રોજ દેગાવાડા ગામે રહેતાં નિલેષભાઈ ભોપતભાઈ પટેલ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દેગાવાડા ગામે નદી ફળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં લોખંડની રેલીંગ સાથે ધડાકાભેર અથડાતાં નિલેષભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ભોપતભાઈ રાયસીંગભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!