દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવશે : પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી, હવા ચુસ્ત ઢાંકવું અથવા કપડાથી બાંધી દેવું, સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો


દાહોદ તા.૧૫

દર વર્ષે ૧૬ મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫ માં આ રોગની નાબૂદી માટે ” Check, Clean,Cover: Steps to defeat Dengue “. Theme for National Dengue Day – 16 th May 2025 (તપાસો, સાફ કરો, ઢાંકો: ડેન્ગ્યુને હરાવવાનાં પગલાં”.) થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુંનું જોખમ પણ વધી શકે છે. સામાન્ય મચ્છરથી અલગ હોય છે ડેન્ગ્યુ ફેલાવનાર એડીસ મચ્છર. ડેન્ગ્યુ માદા એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છરના શરીર પર ચિત્તા જેવા પટ્ટા હોય છે. ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ કરડે છે. આ મચ્છરો બહુ ઊંચે ઊડી શકતા નથી. એ એવા પાણીમાં ઈંડાં મૂકે છે, જેમાં પાંદડા અને શેવાળ હોય છે. આ મચ્છર ઝીકા વાઇરસ અને પીળો તાવ પણ ફેલાવે છે
ડેન્ગ્યુનો ફેલાવો
મચ્છરની વિશેષ પ્રજાતિ એડિસ પ્રજાતિઓને કારણે ફેલાય છે, આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલ સંચિત બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સાંધા તથા માંસપેશીઓમાં દુઃખાવો, સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુઃખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, ગભરામણ થવી, નાક, મો તેમજ પેઢા માંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે છે, આવા સમયે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. આવાં લક્ષણોને લોકો સામન્ય ગણી કાઢે છે, જે લાંબા ગાળા માટે હાનિકારક બની શકે છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકોને સમજ આપી, મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
ડેન્ગ્યુ અટકાવવા માટે આ કાળજી રાખો

  • સૂતી વખતે મચ્છરદાની અથવા મચ્છર ભગાડનારનો ઉપયોગ કરો.
  • ફુલ સ્લીવનાં કપડાં પહેરો.
  • ઘરની આસપાસ, અંદર કે બહાર પાણી ભેગું ન થવા દો.
  • ઘરમાં પાણી સ્ટોર કરતા વાસણને રોજ સાફ કરીને ભરી દો
  • કૂલરનું પાણી 1-2 દિવસમાં બદલીને એમાં બે ચમચી કેરોસિન ઉમેરો.
  • અઠવાડિયામાં એકવાર ફ્રિજ સાફ કરો. એમાં રાખેલી પાણીની ટ્રે રોજ બદલો.
  • જે વાસણમાં પાલતું પ્રાણીને પાણી આપવામાં આવે એને સ્વચ્છ રાખો.
  • છત પરની પાણીની ટાંકીને ઢાંકીને રાખો.
  • બગીચાને સ્વચ્છ રાખો અને વાસણોમાં પાણી એકઠું થવા દેશો નહીં.
  • સાંજના સમયે જ ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દો.
    પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી, હવા ચુસ્ત ઢાંકવું અથવા કપડાથી બાંધી દેવું, સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો. અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળીયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીનાં મોટા હોજ અને ટાકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહક છે. શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો અને દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવો.
    સારવાર
    ડેન્ગ્યું માટે કોઈ ખાસ એન્ટીવાયરલ દવા નથી, પરંતુ લક્ષણોને નિયંત્રિત કરવા માટે પેનાડોલ (Paracetamol) અને પુરતી જળવાયું (hydration) મહત્વપૂર્ણ છે. ગંભીર કેસોમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
    જાહેર આરોગ્ય સૂચનાઓ:
    જો તમને ડેન્ગ્યૂના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. સ્થાનિક આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરો. આ માહિતીનો ઉપયોગ કરીને આપણે ડેન્ગ્યૂના પ્રસારને રોકી શકીએ છીએ. સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકીએ છીએ. દાહોદ જિલ્લામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોરાનાશક કામગીરી, માઇક પ્રચાર અને સર્વેની કામગીરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!