ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામની ઘટના : બે મોટરસાયકલ સામસામે અથડાતા એક મોટરસાયકલ ચાલકનું સ્થળ પર મોત

દાહોદ તા.૨૧

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે રોડ પર પૂરપાટ દોડી આવતી એક મોટર સાયકલ સામેથી આવતી મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મોટરસાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મોટરસાયકલ ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે ભેદી ફળિયામાં રહેતા પ્રતાપસિંહ સુવરસિંહ ભેદી ગત તારીખ ૧૬-૬- ૨૦૨૫ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેના કબજાની જીજે ૨૦એ.એલ-૯૨૬૫ નંબરની મોટર સાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ મોટા નટવા ગામે રોડ પર સામેથી આવતી મોટા નટવા ગામના ૨૨ વર્ષીય પંકજભાઈ દિલીપભાઈ કિશોરીની જીજે ૨૦ એ.પી-૭૬૦૦ નંબરની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મોટા નટવા ગામના પંકજભાઈ દિલીપભાઈ કિશોરીને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે વેલપુરા ગામના મોટરસાયકલ ચાલક પ્રતાપસિંહ સુવરસિંહ ભેદીને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ સુખસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત પ્રતાપસિંહ સુવરસિંહ ભેદીને ૧૦૮ મારફતે સારવાર માટે સુખસર સરકારી દવાખાને મોકલી આપી, સ્થળ પર મરણ જનાર પંકજભાઈ કિશોરીની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને સુખસર સરકારી દવાખાને મોકલી આપી મરણ જનાર પંકજભાઈ દિલીપભાઈ કિશોરીની માતા શારદાબેન દિલીપભાઈ કિશોરી એ આ સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે વેલપુરા ગામના મોટરસાયકલ ચાલક પ્રતાપસિંહ સુવરસિંહ ભેદી વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!