શહેરના ગોધરા રોડ કેન્દ્રીય વિદ્યાલય નજીક એસટી બસની અડફેટે ૪૦ વર્ષીય યુવકનું મોત : બેફામ અને બે લગામ દોડતી એસટી બસનો ગોધરા રોડ પર આ મહિનામાં પાંચમો અકસ્માત

દાહોદ તા.૨૯

આજે સવારે દાહોદના ગોધરા રોડ મુવાલિયા ક્રોસિંગ નજીક, કેન્દ્રીય વિદ્યાલય પાસે યમદૂત બની માતેલા સાંઢની જેમ ધસમસતી આવતી વડોદરા-દાહોદ એસટી બસે દૂધ આપવા બાઈક પર નીકળેલા ૪૦ વર્ષીય યુવકને અડફેટે લેતા તે યુવકનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. દાહોદ શહેરમાં બેફામ દોડતી એસટી બસોને કારણે ગોઝારા અકસ્માતો નો ભય વધી જવા પામ્યો છે. તેમાંય વળી ચાલુ મહિનામાં જ શહેરના માત્ર ગોધરા રોડ પર જ બેફામ દોડતી એસટી બસોએ આ પાંચમો અકસ્માત સર્જ્યો છે. આ અગાઉ ચાલુ માસમાં શહેરના ગોધર રોડ પર નીલકંઠેશ્વર મહાદેવના મંદિર આગળ, દેસાઈવાડ વલ્લભ ચોક નજીક વગેરે મળી કુલ ચાર જેટલી દુર્ઘટનાઓ બેફામ દોડતી એસટી બસોએ સર્જી હતી. પરંતુ તે ચારે બનાવોમાં કોઈ જાનહાની ન થતા તંત્ર એ હાશકારો લીધો હતો. પરંતુ આજે સર્જાયેલ દુર્ઘટનામાં તો મોટર સાયકલ લઈ દૂધ આપવા નીકળેલા 40 વર્ષીય નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે. જેથી દાહોદમાં બેફામ દોડતી એસ.ટી બસો પર લગામ કસવી જરૂરી બન્યું છે. આજે સવારે એક એસટી બસના ચાલકે તેના કબજાની જીજે૧૮ઝેડ -૭૬૬૩ નંબરની વડોદરા-દાહોદ એસટી બસ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ગોધરા રોડ, મુવાલિયા ક્રોસિંગ નજીક, કેન્દ્રીય વિદ્યાલય પાસે રોડ પર પોતાની મોટરસાયકલ લઈ દૂધ આપવા નીકળેલા ગલાલીયાવાડ ગારી ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય વિજયભાઈ ગારી નામના યુવકની મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વિજયભાઈ ગારીને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોતની નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થયા હતા. અને દાહોદ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક વિજયભાઈ ગારીની લાશનું પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી વડોદરા-દાહોદ એસટી બસના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!