ગરબાડા ખાતે સુશાસન દિન નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમમાં જિલ્લાના ૨,૪૩,૬૦૩ ખેડૂતોને રૂ. ૫૭.૩૫ કરોડના લાભોનું વિતરણ : અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના સમયે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા : દાહોદના ચંચલબેન ઠાકોરને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપીયા ૫૦,૦૦૦નો ચેક વિતરણ કરાયો




દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિને મનાવતા સુશાસન દિન નિમિત્તે દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આજના દિને જિલ્લાના ૨,૪૩,૬૦૩ ખેડૂતોને રૂ. ૫૭.૩૫ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિતરત વિકાસ થકી ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આજે રાજ્ય દેશના વિકસીત અને મજબૂતીથી ઉભરતા રાજ્ય તરીકે સિદ્ધિ હાંસલ કરી દેશના બાકીના રાજ્યો માટે દીવાદાંડીરૂપ બન્યુંછે.
ગુજરાત રાજ્યનો વૃદ્ધિદર રાષ્ટ્રના સરેરાશ વૃદ્ધિદર કરતા સતત વધારે રહ્યો છે અને તેમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોનું યોગદાન મહત્વનું રહ્યું છે. રાજ્યના ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજી અપનાવવા માટે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી સતત સહાય કરવામાં આવી રહી છે. તેના પરિણામે ગુજરાતના ખેડૂતો વધુ પાક ઉત્પાદન મેળવતા થયા છે.
શ્રી જાડેજાએ ખેડૂતલક્ષી યોજનાની માહિતી આપતા કહ્યું કે, સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ મહોત્સવ, કૃષિ કલ્યાણ અભિયાન, જળ સંચયના ઘનિષ્ઠ અભિયાનો, કૃષિ યાંત્રિકરણ, મૂલ્ય વર્ધિત ખેતી, ટેકાના ભાવો, વીજળી અને વીમા જેવી બાબતો આવરી લઇ બનાવેલી યોજનાઓના માધ્યમથી સરકાર હંમેશા ખેડૂતોને પડખે ઉભી રહી છે.
અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, સરકાર હરહંમેશ ખેડૂતોની વ્હારે આવી છે, એમ કહેતા તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૭માં અતિવૃષ્ટિ થતાં ૭.૬૯ લાખ ખેડૂતોને રૂ. ૧૭૦૬ કરોડ, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૭.૫૯ લાખ ખેડૂતોને રૂ. ૧૬૭૮ કરોડ, ૨૦૧૯માં કમૌસમી વરસાદ માટે ખાસ પેકેજ અંતર્ગત ૩૨.૦૪ લાખ ખેડૂતોને રૂ. ૨૪૭૮.૪૯ કરોડની સહાયની ચૂકવણી કરી છે. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાના અંદાજિત ૩૭ હેક્ટરમાં થયેલી નુકસાની બદલ રૂ. ૩૮૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી રૂ. ૨૮૨૫ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.
ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલા પ્રવચનનોને સ્થાનિક ખેડૂતોએ રસપૂર્વક સાંભળ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખેડૂતોલક્ષી યોજના સાત પગલાં કૃષિ કલ્યાણની માહિતી પણ ઉપસ્થિતોને આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
શ્રી જાડેજાએ ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની માહિતી મેળવી હતી.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સ્વાગત કરતા કહ્યું કે, લોકોને સુશાસનની પ્રતીતિ થાય તે માટે રાજ્ય સરકારની યોજનાઓનું સારી અમલીકરણ કરવા માટે તંત્ર હંમેશા સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આભાર વિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથારે કરી હતી.
આ વેળાએ દાહોદ જિલ્લાના ખેડૂતોને સાત પગલાંકૃષિ કલ્યાણના યોજના અંતર્ગત મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી સ્નેહલભાઇ ધરિયા, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!