નડિયાદ શ્રી સંતરામ મંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી: શિક્ષકો માટે વકૃત્વ સ્પર્ધા અને તેજસ્વી તારલાઓનું સન્માન
નરેશ ગનવાણી નડિયાદ

યોગીરાજ અવધૂત પ.પૂ. શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની નિશ્રામાં અને પ.પૂ. મહંત રામદાસજી મહારાજની આજ્ઞાથી નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ‘ગીતા જયંતિ’ના પાવન અવસર પર ‘શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ-૨૦૨૫’ અંતર્ગત જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને વ્યાખ્યાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજિત વિશેષ વ્યાખ્યાનમાં ડો. અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા શાળાઓમાં ગીતાજ્ઞાનનો વિષય દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે તે અંગેના વિષય તજજ્ઞો તૈયાર કરવાનું પ્રથમ ચરણ અહીંથી શરૂ થાય છે.” આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર શ્રીમદ્ ભગવત ગીતાજીના શ્લોકોને કેન્દ્રમાં રાખીને ખેડા અને આણંદ જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પર્વની વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે, છેલ્લા ૫ વર્ષથી વિવિધ શાળાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગીતાજીના ઉમદા સંસ્કારો વિદ્યાર્થીઓમાં બાળપણથી જ દ્રઢ થાય તે હેતુથી આ સ્પર્ધાઓ યોજાય છે. ઈનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમના અંતે શાળા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓ અને આજની વકૃત્વ સ્પર્ધામાં વિજેતા બનેલા શિક્ષકોને પ.પૂ. મહંત રામદાસજી મહારાજના વરદ હસ્તે પ્રતિકાત્મક ભેટ અને પ્રોત્સાહન ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર શાળાઓને પણ વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો લાભ બંને જિલ્લાની ધર્મપ્રેમી જનતા અને સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. અલ્પેશ શાહ, રિકીતા ચોકસી અને દેવાંગ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.


https://shorturl.fm/HrER0